ગઝલને ગુજરાતી ભાષામાં લહેર કરાવતી રચનાઓ
ભાનમાં તો કોણ તમને લાવવાનું ભાઈ,રાહ જોઈને ખાંપણ જ પહેરાવવાનું ભાઈ. બસ હવે સમજાવવાથી ફર્ક પડશે નહીં,બોલતાં પહેલાં બરાબર ચાવવાનું ભાઈ. છે સમય તો તોછડો તું સાચવી લેજે,કામ એનું રોકડું પકડાવવાનું ભાઈ. તું હવે નબળો પડ્યો છે, માર તો પડશે જ,હોય લણવું એ જ તારે વાવવાનું ભાઈ. પારધીના બાણથી ઘાયલ થયાં તો શું?પાંખ જેવું હોય તો ફફડાવવાનું ભાઈ. પાંખડીઓ ખેંચવાથી ફુલ ખીલશે નહીં,બારણું તો પ્રેમથી ખખડાવવાનું ભાઈ. બેઉ હાથે જ્યાં બને ત્યાં લ્હાણીઓ કરજે,આખરે તો પીંડ પણ પધરાવવાનું ભાઈ. - ૦૩/૧૧/૨૦૨૨
આ સમય પળવારમાં વીતી જશે,જીતશે જે દોડતાં શીખી જશે. એક જણ એવી રીતે હરખાય કે-કોઈ આવી ઘાવ પણ સીવી જશે. કાંકરા પાણી તળે કચડાય છે,ડૂબવાની ત્યાં સુધી ભીતિ જશે. સાતમા આકાશથી ઉપર સુધી,મહેનતુનાં નામની લીટી જશે. સંતતિનાં પાપ પણ પુચકારતા-આંધળાના રાજમાં નીતિ જશે. - ૧૧/૧૦/૨૦૨૨ [અમદાવાદથી પ્રકાશિત દૈનિક 'સનવિલા સમાચાર' ના ૨૪/૦૩/૨૦૨૪ ના અંકની 'રંગશ્રી' પૂર્તિની 'ગઝલ' કોલમમાં પ્રકાશિત]
શબ્દ હું ગોખી લઈશ, બસ અર્થ તું સમજાવજે,આતમા-પરમાતમા નો ફર્ક તું સમજાવજે. જ્યાં કહે જેવું કહે તું કર્મ હું કરતો રહીશ,સારથી થઈ સગપણોનો મર્મ તું સમજાવજે. તેં ચીંધેલા માર્ગ પર હું આંધળો ચાલ્યા કરીશ,ધરતી ઉપર ક્યાં મળે છે સ્વર્ગ તું સમજાવજે. માર્ગથી ભટકું હું ત્યારે ઓટલો તારો ચઢું,સીધે રસ્તે ક્યાં મળે ઉત્કર્ષ તું સમજાવજે. ધર્મને બંધન ગણું કે ઉન્નતિ નો માર્ગ છે,બાંધવું કે છોડવું છે ધર્મ તું સમજાવજે. દીવડો રાતે બળીને સૂર્યની જગ્યા ભરે,બેવમાંથી કોણ છે આદર્શ તું સમજાવજે. શબ્દના ઉપયોગમાં પણ શસ્ત્ર જેવો ઘાવ છે,આ મને કોનો થયો છે સ્પર્શ તું સમજાવજે. - ૨૭/૦૯/૨૦૨૨ [અમદાવાદથી પ્રકાશિત દૈનિક 'સનવિલા સમાચાર' ના ૧૭/૦૩/૨૦૨૪ ના અંકની 'રંગશ્રી' પૂર્તિની 'ગઝલ' કોલમમાં પ્રકાશિત]
સંસારમાં રહીને શંકરને પામવાનો, રસ્તો છે સાવ સહેલો, પડતાને ઝાલવાનો. કૈલાશનાં શિખરની યાત્રા ઘણી કઠિન છે, ચાલી નહીં શકો તો રસ્તો બતાવવાનો. જેની ફળી તપસ્યા મૃત્યુ જ અઘરી માંગી, એથી વિશેષ તું શું વરદાન માંગવાનો. સહેલું નથી થવાનું સમશાનમાં અઘોરી, ચિતા સળગતી રાખી, અગ્નિને ઠારવાનો. ગંગાના નીર આઘા, ધોવાય ક્યારે પાપો, સ્વીકારી, મ્હાંયલાને પળમાં પખાળવાનો. મંથનનું ઝેર ભોળાએ પી લીધું છે પૂરું, તારે તો બસ આ મનનાં અજગરને નાથવાનો. - ૦૧/૦૩/૨૦૨૪ [અમદાવાદથી પ્રકાશિત દૈનિક 'સનવિલા સમાચાર' ના ૧૦/૦૩/૨૦૨૪ ના અંકની 'રંગશ્રી' પૂર્તિની 'ગઝલ' કોલમમાં પ્રકાશિત]
ભાંગી જઈને ભક્તિ તારી આ ભવે તો નહીં કરું,શું સજાનો ભય બતાવે? જા હવે તો નહીં કરું. હા હશે, બીજાં ભલે ભયથી તને નમતાં હશે,કૅરની બીકે નમન શ્રદ્ધા વડે તો નહીં કરું. સામસામે જો કરે ચર્ચા તો હું તૈયાર છું,વારે વારે દ્વાર પર પડદા પડે તો નહીં કરું. મંદ સ્વર, નીચી નજર, વિનમ્રતા મારી હતી,પણ મને નબળો ગણી માથે ચડે તો નહીં કરું. માંગવાની વાત ક્યાં આવી, એ મારો હક હતો,લઈ લઈશ પુરુષાર્થથી અરજી તને તો નહી કરું. ફાવ્યું ના ગાંડીવ ત્યારે વાત સંધીની હવે?સારથી પણ જો સ્વયં યુદ્ધે ચઢે તો નહીં કરું. તું કહે તો હું સમર્પણ પણ કરીશ, પણ જો મને-ધર્મ ને સિદ્ધાંત મારાં ના કહે તો નહીં કરું. - ૩૦/૦૮/૨૦૨૨ [અમદાવાદથી પ્રકાશિત 'સનવિલા સમાચાર' નાં ૧૮/૦૨/૨૦૨૪ ના અંકની 'રંગશ્રી' પૂર્તિમાં 'ગઝલ' કોલમમાં પ્રકાશિત]