વિચારોમાં ક્યાં કદી અલ્પવિરામ હોય છે,
ઈચ્છાઓને ક્યાં કદી પૂર્ણવિરામ હોય છે,
વિવેક અને લાલસાના સંઘર્ષમાં ખપી ગયેલા –
મ્હાયલાંને ક્યાં કદી યુદ્ધવિરામ હોય છે.
જીતેલાને સાંભળ્યું છે કે કોઈ ઈનામ હોય છે?
ખબર જ નથી આમાં તો, કોણ બનામ હોય છે,
યુદ્ધ ભયંકર ચાલે મારું, મારી સાથે, મારી અંદર,
હાર-જીતથી પર છે, જીવન એનું નામ હોય છે.
અંતે સત્ય એક જ છે, જેને પ્રણામ હોય છે,
જીવતે જીવ જે જાણી લે, એને વિરામ હોય છે,
હાથ-પગ તું ગમે તેટલાં છોને મારતો “કાચબા”,
તર્યા ફકત એટલાં, જેના પર લખ્યું શ્રીરામ હોય છે.
– ૧૧/૧૧/૨૦૨૧
[મન કોઈ દિવસ આરામ કરતું નથી, શાંત બેસતું નથી. જીવન છે ત્યાં સુધી “અવિરત” વિચારોથી ઘેરાયેલું જ રહે છે, લાલસાઓથી ભરાયેલું રહે છે. આ મનને શાંતિ ક્યારે મળશે?….]
છેલ્લા બોલે હંમેશા સિકસ, તમારા કવિતા રૂપી પથ્થર
હંમેશા તરતા રહેશે.અવિસ્મરિય….
તર્યા એ જ જેના પર શ્રી રામ લખ્યું હોય છે… વાહ વાહ વાહ 👍🏻